ગોદડિયો ચોરો... બલિદાન દિવસ
=====================================================
ગોદડિયો ચોરો બરાબરનો જામ્યો છે પણ ચોમાસું બરાબર જામતું નથી . ધરતી પણ
તરસી રહી છે અને ધરતી પુત્રો આજ વરસશે કાલ વરસશે એમ હવામાન શાસ્ત્રીઓના
વર્તારે આશા રાખી ચાતક પક્ષીની જેમ વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં ચુંટણીનું વર્ષ હોઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષ અવનવા કાર્યક્રમો આપીને
જનતા અને કાર્યકરોને ખો ખો રમાડી રહ્યા છે ને સત્તા રૂપી ટ્રોફી મેળવવા રમત રમે છે .
હું ધ્રુતરાષ્ટ્ર નારણ શંખ કનું કચોલું કોદાળો અઠ્ઠા બઠ્ઠા ગોરધન ગઠ્ઠો ને ભદો ભૂત પ્રણવ
ને સંગમા શાસ્ત્ર પુરાણ વાંચી રહ્યા હતા ત્યાં જ ત્રણ નવતર પ્રાણીઓનો પ્રવેશ કરે છે .
ભાઈલા અમે આ ચોરાની મહેમાનગતિ માણી શકીએ ? એમાંના એકે પ્રશ્ન કર્યો.
કોદાળો કહે શ્યોર શ્યોર વાય નોટ આપ બી મેમાનને ગતિ આપી હકેંગે .!
નારણ શંખ કહે ભાઈ ક્યાંથી આવો છો ? ને આપ કોણ છો ? શું કરો છો ?
એક કહે મારું નામ ચચુકા છે ( ચતુરભાઈ ચુથાભાઈ કાછીયા )
બીજો કહે મારું નામ મચુકા છે ( મથુરભાઈ ચુનીલાલ કાપડિયા )
મેં કહ્યું વાહ ભાઈ વાહ ચચુકા અને મચુકાની જોડી બરાબરની જામી કહેવાય અને દેખાવે
પણ બંને ચચુકા ને મચુકા જેવા જ છો ! ઉપરથી છોતરા જેવા ને અંદરથી કડક લાકડા જેવા
બન્ને કહે અમે ભાજપ (ભાઈ જપ હવે ) કાર્યકરો છીએ .
પેલો ત્રીજો ભાઈ કહે મારું નામ પ્રાણભાઈ જીવનભાઈ ઘાલમેલીયા છે
બધા મને પ્રાણજીવન કહે છે . હું કોંગ્રેસનો કાર્યકર છું.
મેં કહ્યું વાહ ભાઈ વાહ એક નામમાં બે બે વિલન ! પાછા ઘાલમેલીયા ! જબરી અટક છે.
કનું કચોલું કહે અલ્યા અત્યારે ક્યાંથી પધારો છો.આ તમારો પક્ષીય મેળ કેમ જામે છે ?
ચચુકો અને મચુકો કહે અમે બલિદાન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ગયા હતા.
અમે જુદા જુદા પક્ષમાં પણ ભાઈબંધો એટલે સાંજે પોટલી (દારૂ) સાથે જ પીવાના ને .
ગોરધન ગઠ્ઠો કહે આ બલિદાન દિવસ એ વળી શું છે ?
ચચુકો ને મચુકો કહે એની તો અમનેય ખબર નથી. બસ સાહેબ કહે કે વિરોધ કરો કે
ઉજવો એટલે અમારે વિરોધ કરવામાં લાગી જવાનું બસ મગજથી વિચારવાનું પણ નહિ .
મેં કહ્યું અલ્યા બબૂચકો ભારત આઝાદ થયું પછી આપણા દેશમાં આપણું રાજ થયું ને દેશનો
વહીવટ ભારતીય સંઘના બંધારણ મુજબ વડા પ્રધાન ને પ્રધાન મંડળ કરે.
ભારતનાં બધા રાજ્યોમાં વહીવટી વડાને મુખ્ય પ્રધાન કહેવાય જયારે જમ્મુ કાશ્મીરના
વડાને વડા પ્રધાન કહેવાય તેમજ કાશ્મીરને અધિક મુખ્ય રાજ્યનો દરજ્જો અપાયો અને
કાયદાની અમુક કલમો જુદી રાખી .
એ સમયે સ્વ. શ્યામાપ્રસાદ મુખર્જી અને બીજા નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી
કેટલાય નવલોહિયા નેતા ગણને લઈને ભારતીય જનસંઘની ૧૯૫૨માં સ્થાપના કરી .
તેનું ચુંટણી પ્રતિક દીવો રાખવામાં આવ્યું .
સ્વ શ્યામાપ્રસાદ મુકરજીએ આખા દેશના રાજ્યોની માફક એક પ્રધાન (મુખ્ય પ્રધાન) અને
એક વિધાન (એક સરખા કાયદા) માટે ચળવળ ચલાવી અને કાશ્મીર ગયા.
જમ્મુમાં તેમની તેમની ધરપકડ કરવામાં આવી અને જમ્મુની જેલમાં ૧૯૫૩ના જુનની
૨૩ મી તારીખે તેમનું અસાધારણ સંજોગોમાં મૃત્યુ થયું એટલે ત્યારનો જનસંઘ એટલે આજનો
ભાજપ તે દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવે છે.
મચુકો અને ચચુકો કહે અલ્યા આ વાતની તો આપણને ખબર જ નથી !
મેં કહ્યું અત્યારના કેટલાય ભાજપી નેતાઓ કે ધારાસભ્યો કે સંસદ સભ્યોને આ જાણ છે જ નહિ !
બસ સાહેબે કહ્યું કે ઉજવવાનું એટલે ઉજવવાનું . પ્રજા પૂછે કે ભાઈ શું ઉજવો છો તો કહે ખબર નહિ .
ચચુકો કહે લ્યો કરો વાત આપણે તો હિસ્સો હિસ્સો કરતા સાહેબના આદેશ પર તૂટી પડીએ છીએ.
ધ્રુતરાષ્ટ્ર કહે અલ્યા સ્વ. શ્યામપ્રસાદ મુકરજીએ જયારે બલિદાન આપ્યું ત્યારે તમારા સાહેબ અઢી
કે ત્રણ વર્ષના હશે. ઘણા ભાજપીઓનો જન્મ ત્યાર પછી થયો હશે …બબૂચકો .
મચુકો કહે પણ એક વાત મારી સમજમાં આવી ગઈ એ વિચારવા જેવી છે !!!!!!!
એક પ્રધાન એક વિધાન કેરો સંદેશ બીજા રાજ્યોએ અપનાવ્યો કે નહિ એ ખબર નથી પણ આપણા
ગુજરાતમાં સાહેબે છેલ્લા દશ વર્ષથી “એક જ પ્રધાન અને એક જ વિધાન ” સરસ રીતે અપનાવ્યો છે !
પ્રધાન મંડળ ખરું પણ ખરા એક જ પ્રધાન એટલે આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી !
એક વિધાન એટલે કે તે જે બોલે કે કહે તે જ સાચું એટલે એક જ વિધાન થયું કે નહિ ?
લ્યો ચાલો ભાજપમાં કોઈકે તો સ્વ. શ્યામાપ્રસાદ મુકરજીના સિધ્ધાંતને અપનાવ્યો તો ખરો ?
મચુકો કહે અલ્યા બલિદાન તો સ્વ. શ્યામાપ્રસાદ મુકરજીએ પોતાનું જ આપ્યું .
ચચુકો કહે આપણા સાહેબે તો કેટલાય બલિદાનો લીધા છે. એટલે એ બલિદાન આપવાના સિદ્ધાંતમાં નહિ
પણ બલિદાન લેવાના સિદ્ધાંતમાં માને છે.
જોયું નહિ કોઈ જ્યોતીષીએ કહ્યું કે ભાઈ તમને નડતર છે એટલે છેવટે ગયા મહીને જ ભાજપની કારોબારી
પ્રસંગે સંજય જોશીનું કારોબારીમાંથી અને પછી ભાજપના તમામ હોદ્દા પરથી બલિદાન લેવડાવ્યું .
છેલ્લા દશ વર્ષમાં સંઘની ભગિની સંસ્થાઓ અને ભાજપમાં કેટલાયનાં રાજકીય બલિદાનો લીધા છે .
ત્યાં પ્રાણજીવન કહે અલ્યા જે બલિદાન લે એને બલિદાન દિવસ ઉજવવાનો હક્ક ખરો ?
મેં કહ્યું અલ્યા ચચુકા મચુકા ને પ્રાણજીવન જરા ટાઢા પડો ને મારી વાત સાંભળો .
ભાજપ અને કોંગ્રેસ બન્નેયનો ઈતિહાસ બલિદાન લેવામાં એક એકથી ચઢિયાતો છે
સ્વ. ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા તોફાનોમાં અને બીજા અનેક પ્રસંગે કોંગ્રેસે જનતાનાં ઘણાં
બલિદાનો લીધાં છે. ઘણાં રાજકીય બલિદાનો પણ લીધા છે .
જયારે ભાજપે રામ મંદિરના મુદ્દે જનતાના અને કારસેવકોનાં ઘણા બલિદાનો લીધા છે એટલે બન્નેમાંથી
કોઈને પણ બલિદાન દિવસ ઉજવવાનો હક્ક રહેતો જ નથી .
પેલું ગીત યાદ છે ને ……
“જિસને પાપ ના કિયા હો જો પાપી ના હો …વો પહેલા પત્થર મારે “……..
ભાઈ બધા જ પક્ષો રક્ત રંજિત ઇતિહાસથી ખરડાયેલા જ છે.
એટલે પક્ષના કોઈ કાર્યક્રમોનો આદેશ આવે ત્યારે પ્રસંગનું મહત્વ અને ઈતિહાસ જાણી સમજી પછી
કુદી પડવાનું ….હોંકે…….હિસ્સો હિસ્સો નહિ કરવાનું સમજ્યા .
સાટકો== દેશ ને રાષ્ટ્રપ્રેમ માટે બલિદાન આપનાર સેંકડો દેશપ્રેમીઓ મળી આવશે .
જયારે સત્તા ને ખુરશી માટે બલિદાન લેનારા હજારો નેતાઓ મળી આવશે .
================================================================
સ્વપ્ન જેસરવાકર